
સામાન્ય રીતે ઘરમાં વધેલો ખોરાક આપણે ફ્રીજમાં રાખીએ છીએ અને બીજા દિવસે તેને ગરમ કરીને ખાઈએ છીએ,
પરંતુ શું તમે જાણો છો કે વાસી ખોરાક તમારા સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે?
મોટાભાગના લોકોને વધેલુ જમવાનું ફેંકવું ગમતું નથી, તેને ખોરાકનું અપમાન કર્યુ કહેવાય છે. જેથી સામાન્ય રીતે દરેકના ઘરમાં બચેલુ ભોજન માટે ફ્રીજમાં રાખવામાં આવે છે અને બીજે દિવસે અથવા રાત્રે તે ભોજન ગરમ કરીને ખાઈએ છીએ. આવું લગભગ દરેક સામાન્ય ઘરમાં થતુ હોય છે. પરંતુ બચેલો ખોરાક જો લાંબા સમય સુધી રાખવામાં આવે તો તે વાસી થઈ જાય છે, એવામાં દરેકના મનમાં અનેક પ્રશ્ન હોય કે, શું આપણે વાસી ખોરાક ખાવો જોઈએ ? કે ખોરાક કેટલા સમય સુધી રાખીએ તો તે વાસી થઈ જાય ? અથવા વાસી ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહીં ? ચાલો આજે અમે તમને આ વિશે જણાવીએ…
વાસી ખોરાક અંગે આયુર્વેદની સલાહ
આયુર્વેદ અનુસાર, 24 કલાકથી વધુ સમય માટે રાખવામાં આવેલો ખોરાક ક્યારેય ન ખાવો જોઈએ, કારણ કે 24 કલાકથી વધુ સમય માટે રાખેલો ખોરાક ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે, જેને આયુર્વેદ યોગ્ય માનતો નથી. આટલું જ નહીં, એકવાર તમે ખોરાક રાંધો તો તેમાં ભેજ હોય છે, અને તૈયાર કર્યા પછી, જો તેને ફ્રીજમાં રાખવામાં આવે છે, તો તે બેક્ટેરિયા અને અન્ય પેથોજેન્સનું પ્રજનન કરે છે, જે ઘણા રોગોને જન્મ આપે છે. એટલે કે વાસી ખોરાક પણ તમારા શરીર માટે હાનિકારક બની શકે છે.
માઈક્રોવેવમાં વાસી ખોરાક ગરમ કરીને ન ખાવો જોઈએ !
સાથે જ આજે આધુનિક સમયમાં એવા ઘણા પરિવારો છે, જે વાસી ખોરાકને માઇક્રોવેવમાં ગરમ કર્યા પછી ખાય છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બિલકુલ સારું નથી ! તમને જણાવી દઈએ કે માઈક્રોવેવમાં ખોરાકને ફરીથી ગરમ કરવાથી વિટામિન જેવા જરૂરી પોષક તત્વો નાશ પામે છે. ઘણી વખત આમ કરવાથી ફૂડ પોઈઝનિંગ થવાની પણ શક્યતા રહે છે. જેથી માઈક્રોવેવમાં બની શકે ત્યાં સુધી વાસી ખોરાકને ગરમ ન કરવો જોઈએ.
વાસી ખોરાક ખાવા માટેની શરતો
જો તમે વ્યસ્ત હોવ અને વાસી ખોરાક ખાવુ ફરજિયાત હોય તેવી સ્થિતિમાં, રાંધ્યાની 90 મિનિટની અંદર ખોરાક ઠંડુ થઈ જાય પછી જ તેને સ્ટોર કરો. અને ત્યારબાદ 24 કલાકની અંદર માત્ર એક જ વખત વાસી ખોરાકને તેની ઠંડક સંપૂર્ણપણે દૂર થાય ત્યાં સુધી ગરમ કરવો જોઈએ... વાસી ખોરાકને ક્યારેય એક કરતા વધુ વખત ગરમ ન કરવો જોઈએ...
(નોંધ- આ એહવાલ આયુર્વેદના નિષ્ણાંતો દ્વારા લખેલા સુત્રો આધારિત છે જેનો લેખક કે વેબસાઈટ સાથે સંબંધ નથી..)